Month: September 2018
હું તો અશ્વ છું.
હું તો અશ્વ છું.
આજે
સમય
સવારીએ
ચડેલો છે.
– મૌલિક “વિચાર”
Thank you Vyoma to dedicate & sahre me a great piece of Art. Unfortunately I am unable to comment and reply for all of your art piece. But Just You asked me How’z Going? and This is an answer motivated from your recent sketch. Thank you.
બધાય રંગ મનગમતા…
હું તો રંગરસિયો
વિચાર છું,
બધાય રંગ મનગમતા…
– મૌલિક “વિચાર”
સમજાતું નથી કોણ કોને વેચે છે.
બજારમાં
એટલો ઘોંઘાટ છે,
સમજાતું નથી કોણ કોને વેચે છે.
– મૌલિક “વિચાર”
સાચો શિક્ષક એ જે એવું કહે કે તું શીખ તારી સંગાથે સંગાથે હું પણ શીખું.
સાચો શિક્ષક એ જે એવું કહે કે,
તું શીખ તારી સંગાથે સંગાથે હું પણ શીખું.
– મૌલિક “વિચાર”
અંતે તો અમને જ અમારી ખુમારી નડી છે
એકલતા આજ અડફેટે ચઢી છે,
એને તો ઓળખીતાઓથી જ હાથ તાળી મળી છે.
રોકાયા નહીં તમે, રોઈ રોઈ કાયા ભીની થઈ ગઈ,
અંતે તો અમને જ અમારી ખુમારી નડી છે. – મૌલિક “વિચાર”
સુખ શાંતિને ખોટું લાગ્યું.
આ મારા નાનકડા
ખીસ્સામાં એક મોટું સપનું જાગ્યું,
બસ ત્યારથી જ મારી સુખ શાંતિને ખોટું લાગ્યું.
– મૌલિક “વિચાર”
જેને સગી માનું ધાવણ નસીબમાં ન હતું, એટલે જ એ મા-ધવ કહેવાયા!!!
જેને સગી માનું ધાવણ
નસીબમાં ન હતું,
એટલે જ એ મા-ધવ કહેવાયા!!!
મૌલિક “વિચાર”
તો માધવ છે ક્યાં?
માધવની યાદ છે પણ વાંસળીનો સાદ નથી.
માધવનો અંશ છે પણ એનો સ્પર્શ નથી.
કુળનું હિત હશે પણ માધવનું સ્મિત નથી.
ગોપીઓની લચકતી કમર પણ હવે લચી પડી છે. એમની ગાગર જ હવે નક્કર થઈ ગઈ છે. ગાગર પર મંડાતા કંકરના અવાજની જગ્યા મધુવનના સુકાયેલા પાંદડાઓએ લઇ લીધી છે. કાલિંદીનું જળ પણ હવે ખારાશ પકડે છે. કારણ માધવ ક્યાંય નથી મધુવનમાં..
માધવની ગેરહાજરી એટલે શ્વાસને ઉછીના મુકવા જેવી બાબત. માધવ એવું વ્યક્તિત્વ છે, જેને સગી માનું ધાવણ નસીબમાં ન હતું, એટલે જ એ મા-ધવ કહેવાતા હશે. જન્મતાવેંત જ સામાજિક પરીક્ષા શરૂ થઇ ગઈ છતાંય એમને હંમેશા આપણે હસતા જ નિરખેલા છે. પ્રત્યક્ષ કદાચ કોઈએ જોયા નહીં હોય, પણ કૃષ્ણ નામ આવે એટલે એક હસતો સૌમ્ય ચહેરો આપણી નજર સમક્ષ ઉભો થઇ જાય.
માધવનું જીવન એટલે જવાબદારીનું પોટલું, જેમાં તેમણે બધાને ખુશ રાખ્યા છે. પાછલા જન્મમાં રામ અવતારે આપેલા વચનો પણ નિભાવ્યા છે અને આ જન્મમાં અનેક સંબંધો.
ગોકુલની એકેએક રજને મોક્ષ આપ્યો છે, તો દ્વારકામાં રાજપાટ સંભાળી ત્યાંના લોકોને ધન્ય કર્યા છે.
માધવ ક્યારે ક્યાં હોય છે એની કોઈને ખબર નથી હોતી. કૃષ્ણને શોધવા માટે નારદમુની જેવાં જ્ઞાનીને પણ વર્ષો લાગ્યા હતા. તો કૃષ્ણ ક્યાં છે? તે પ્રશ્નનો ઉત્તર પ્રશ્ન કરનાર પાસે જ છે. શબ્દથી નહીં પણ અનુભવથી.
કૃષ્ણને શોધવા એક દ્રષ્ટિની જરૂર છે, અંતર દ્રષ્ટિની. કૃષ્ણ સ્મિતની સોગાદ આપે છે પણ વિરહની વેદના પણ આપે છે.
કવિ શ્રી હરીન્દ્ર દવે રચાયિત આ ગીત દર્શાવે છે કે, કૃષ્ણની ગેરહાજરી સર્વેને કેટલી સાલે છે.
ફૂલ અને ભમરા આમ તો એકબીજાની સાથે પ્રેમભરી ગોષ્ઠી કરવા માટે પ્રચલિત છે, ક્યારેય યમુનાના નદી પરથી આવતો ઠંડો પવન એકલો નથી આવ્યો, હંમેશા સંગાથે વાંસળીના સૂરોની મીઠાશ પણ લાવ્યો છે. પણ આજે એ વાયરો પણ માંદો પડ્યો છે ત્યારે ફૂલ અને ભમરા પણ માધવ ક્યાંય નથી મધુવનમાંનું દુઃખ વ્યક્ત કરે છે. ગોકુળની રજ હોય કે યમુનાનો કિનારો, મધુવનના ફૂલ હોય કે એ ફૂલને ચૂસવા તલપાપડ થતો ભમરો, લીલીછમ હોય કે સુકાઈ ગયેલી ડાળખીઓ, ગોપીઓ હોય કે ગોપાલકો, નંદ મહારાજ હોય કે જશોદા મા સર્વેને આજે જાણે પોતાનો શ્વાસ રૂંધાતો હોય તેમ લાગે છે.
તો માધવ છે ક્યાં?
મૌલિક “વિચાર”
વાંસળી
વાંસળી એટલે માત્ર વાજિંત્ર જ નહીં પરંતુ વાસંતીને સૂર વડે આપેલ વાયરાનો ધબકાર અને એ ધબકારનો નિમિત્ત કોણ છે? પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ. માણસ પોતાની ઓળખ ઊભી કરવા માટે જાતભાતના વસ્ત્રો, શૃંગાર અને વિધવિધ વસ્તુઓનો સહારો લે છે, પરંતુ કૃષ્ણ સાથે જોડાઈને ઘણી વસ્તુઓને અલગ ઓળખ મળી છે. મોરપીંછ જે માત્ર એક પંખીના પીંછા જ નથી પણ એક અમર પવિત્ર પ્રસાદ છે, કૃષ્ણ થકી પિતાંબરને નવી ઓળખ મળે છે. તેવી જ રીતે અનેક વાજિંત્રોની વચ્ચે વાંસળીનું મહત્વ કંઈક અનોખું જ છે. અને એનું કારણ છે કે કૃષ્ણના શ્વાસની સૌથી નજીક છે. હજી વધારીને કહીયે તો કૃષ્ણના શ્વાસને ગાતા કરે છે. કૃષ્ણ પર કાવ્ય રચી જ ન શકાય કારણકે, કૃષ્ણ પોતે જ એક કાવ્ય છે. એમનું જીવન જ લયબદ્ધ પંક્તિઓ છે. કૃષ્ણ એ ગોકુળમાં કરેલ અનેક લીલાઓથી ગોવાસીઓની આંખો રાતી કરી છે. અને એ જ ગોકુળમાં વાંસળી થકી લોકોના હૃદય ડોલાવી આનંદની પણ પેલે પાર લઈ ગયેલ છે..
રૂડી ને રંગીલી રે વ્હાલા તારી વાંસળી રે લોલ
વાંસલડી મારે મંદિરિયે સંભળાય જો
આ પાણીડાંની મશે રે જીવણ જોવા નિસર્યાં રે લોલ
આ કેડો મેલો પાતળિયા ભગવાન જો
આ સાસુડી હઠીલી મારી નણદલ મેણાં બોલશે રે લોલ
– નરસિંહ મહેતા
કૃષ્ણના વ્યક્તિત્વને ઓળખવું જેટલું અઘરું છે, એટલું જ સહેલું છે એમનું દિલ જીતવું. બસ, તમારે નાદાન બનવું પડે.. જે નરસિંહ મહેતા અને મીરાંબાઈ જેવા એમનાં ઘણા ભક્તો સારી પેઠે જાણી ગયેલ. અને એમની કૃષ્ણ ભક્તિથી જ અનેક કાવ્ય રચનાઓ સહજ ઉદ્દભવી છે. કૃષ્ણ પણ સારી પેઠે જાણે છે કે એમનાં ભક્તોને પ્રેમથી કંઈ રીતે સતાવવા. વાંસળી તો તેમનું લોકોના હૃદયમાં વસવા માટેનું હથિયાર છે. ગોપીઓ આમ તો ફરિયાદ કરે છે છતાંય કૃષ્ણ એમને વાંસળી થકી ફરી ફરીને યાદ કરે એ ગોપીઓને ખુબ ગમે છે. એમની ફરિયાદ પણ એક આવકારો છે. આખાય ગીતમાં ભક્ત નરસિંહ મહેતા એ વાંસળીને નિમિત્ત બનાવી છે અને સાચે જ વાંસળી કૃષ્ણની કેટલી નજીક હશે કે એ અમર થઇ ગઈ.
આવો જ ભાવ કવિ શ્રી બાલમુકુંદ દવે કંઈક માદકતાથી વર્ણવે છે, કૃષ્ણના સંદર્ભમાં કોઈ પણ ક્રીડાનું વર્ણન કરો, એનામાં ખુબ જ પવિત્રતા અને સાત્વિકતાનો અહેસાસ થાય. કવિને અહીંયા કોયલના પંચમ સૂર કરતા વાંસળીના સૂર છાતીએ ભટકાય છે અને સ્તનયુગલને જાણે પ્રેમનો સ્પર્શ થતો હોય એવી અનુભૂતિ કરાવે છે.
કોયલ કૂજે કુંજમાં, ને રેલે પંચમ સૂર,
વાગે વન વન વાંસળી, મારું પલ પલ વીંધે ઉર
-બાલમુકુંદ દવે
કવિ અહીં વિચારની પરાકાષ્ઠાએ પહોંચીને અધમુઆ થયેલ સૂરની વેદનાને વ્યક્ત કરે છે, જે સૂરનો જનેતા વાંસળીથી ક્યાંક તો હોઠ દૂર કરે છે અને અને સૂરને પણ કૃષ્ણથી અળગા થવું નથી. કવિ શ્રી વાંસળી અને સૂરને કૃષ્ણની કેટલી નજીક વર્ણવે છે આ પંક્તિમાં,
વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદંબની છાંય
મારગની ધૂળને ઢંઢોળી પૂછે મારા માધવને દીઠો છે ક્યાંય?
– હરીન્દ્ર દવે
કૃષ્ણની વાત કરતાં હોઈએ, મોરપીંછ અને વાંસળીની વાત કરતાં હોઈએ અને આપણે કૃષ્ણના પરમ ભક્ત કવિ શ્રી સુરેશ દલાલને યાદ ન કરીયે તો આપણી પણ કૃષ્ણ કેફિયત અધૂરી રહે.
કવિ શ્રી સુરેશ દલાલના કાવ્યોમાં એવો તો લય હોય છે કે કાવ્ય અને ગીતમાં કોઈ ભેદ રહે જ નહિ, સંગીતકારોને પણ સંગીતની રચના કરવામાં જરાક પણ અઘરું ન લાગે. સુરેશ દલાલ લેખિત લગભગ દરેક કાવ્યો સંગીતબદ્ધ થયા છે. ગોપીઓના મહેણાંમાં કૃષ્ણ પ્રત્યે અપાર પ્રેમ છત્તો થાય છે. એમને મન વાંસળી વગાડવી ખુબ સહેલી છે, પણ એમને, ગોપીઓને ખબર નથી, કે વાંસળી વગાડી લેવી સહેલી હશે પણ વાંસળી વગાડીને કોઈના હૃદયમાં સ્થાન પામવું ખુબ જ અઘરું છે.
આખો દી વાંસળીને હાથમાં રમાડો કહાન !
એમાં શા હોય ઝાઝા વેતા ?
કાંટાળી કેડી પર ગાગર લઇને અમે
આવતાં, જતાં ને સ્મિત દેતાં.
હું તો વ્હેતી જમુનાને અહીં આણું :
– સુરેશ દલાલ
વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી !
છાવરું છું એમ છતી થાય છે ઓ છેલ
મારા અંતરની છાનેરી લાગણી !
– સુરેશ દલાલ
અહીંયા પણ કવિ શ્રી ગોપીઓનો પક્ષ લઇ કાવ્ય રચના કરે છે. વાંસળીને જેટલો પ્રેમ અને ઓળખ કૃષ્ણના કારણે મળેલ છે એટલા જ અવનવા રૂપ લોકો એ વાંસળીને આપ્યા છે. કોઈકને રૂડી અને રંગીલી લાગે છે તો કોઈકને વરણાગી લાગે છે, છતાંય વાંસળી સદાય અમર રહેશે.